ભાવનગર ઉખરલા ગામે વાડી વિસ્તારમાં જુગાર
જુગાર રમતા સમયે નાસભાગ થતા ત્રણના મોત
ભાવનગર વરતેજ પોલીસ સ્ટેશનના ઉખરલા ડુંગરાળ વાડી વિસ્તારમાં મહાવીરસિંહની વાડીમાં આશરે અઢી વાગ્યાના અરસામાં ૧૧ જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા. અચાનક મોટો અવાજ થતાં મહાવીરસિંહએ “કોણ હોઈ શકે ?” બોલતા નાસભાગ થઈ હતી. અને જુદા જુદા રસ્તે દોડવા લાગ્યા હતા જ્યાં 4 લોકો વાડીમાં આવેલ કૂવામાં પડી જતા 3 લોકોના મૃત્યુ થયા હતા.
3 મૃતકોમાં અજીતસિંહ, રાહુલભાઈ અને નીલેશભાઈનું મૃત્યુ થયું છે જ્યારે ઈજાગ્રસ્ત અંગે વાત કરીએ તો આ દોડાદોડમાં ૪ લોકો કુવામાં પડી ગયા હતા,જ્યારે ચોથા વ્યક્તિ કેવલભાઈ રમેશભાઈ સોલંકી જીવિત છે અને પોલીસે તેમની પૂછપરછ હાથ ધરી છે. પોલીસે તમામ ૩ મૃતકોના શબ કબજે કરી ઇન્કવેસ્ટ ભરવાની અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસ રેડ અંગે સ્પષ્ટતા કરતા અધિકારીએ જણાવ્યું છે કે હાલમાં કોઈ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો કે નોંધ નોંધાઈ નથી, પરંતુ ભાગનાર ઇસમો કોણ હતા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
પરિવારજનોનો આક્ષેપ છે પોલીસની રેડ હતી જેને લઈને નાસ ભાગ થવા પામી હતી. અને જો પોલીસ ન હતી તો તે શખ્સો કોણ હતા જેને લઇને નાશ ભાગ થઈ હતી ? જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી પરિવારજન પોતાના સ્વજનોની ડેડ બોડી સ્વીકારશે નહીં..

