સુરતમાં પૂરનું પાણી ઓસરતા રોગચાળો
મહાનગર પાલિકા રોગચાળો અટકાવવા એક્શન મોડમાં આવી
આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કર્યું
સુરતમાં પૂરનું પાણી ઓસરતા હવે સુરત મહાનગર પાલિકા રોગચાળો અટકાવવા એક્શન મોડમાં આવી હોય તેમ આરોગ્ય વિભાગે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે અને શહેરભરમાં ખાસ સર્વેલન્સ સાથે મેડિકલ કેમ્પનું આયોજન કર્યુ છે.
સુરતમાં પૂરના પાણી ઓસરતા જ સુરત મનપાના આરોગ્ય વિભાગે 1200થી વધુ કર્મચારીઓને મેદાનમાં ઉતાર્યા છે. શહેરમાં 40 રેપિડ રિસ્પોન્સ ટીમો તૈનાત કરવામાં આવી છે, જ્યારે ઉધના, લીંબાયત સહિત પાંચ ઝોનના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ઘરે-ઘરે આરોગ્ય સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે. પૂર બાદ ગંદા પાણીથી ફેલાતા રોગોને રોકવા માટે 15 વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો તેમજ ચામડીના રોગોના તજજ્ઞો કેમ્પમાં સેવા આપી રહ્યા છે. અત્યાર સુધીમાં પૂરના પાણીના સંપર્કથી અસરગ્રસ્ત 900થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આશા બહેનો, એએનએમ અને એમપીએચડબલ્યુની ટીમો ઘરે-ઘરે જઈ તાવ, શરદી, ખાંસી સહિતના લક્ષણો ધરાવતા દર્દીઓની તપાસ કરી રહી છે. ખાસ કરીને હાઈ-રિસ્ક અને ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સઘન સર્વેલન્સ હાથ ધરાયું છે. તો સુરત મનપાએ નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ તકલીફ જણાય તો જાતે દવા લેવાના બદલે તાત્કાલિક નજીકના મેડિકલ કેમ્પ અથવા ડોક્ટરનો સંપર્ક કરે.

