સુરતના લિંબાયત વિસ્તારમાં લગ્ન પ્રસંગએ ફાયરિંગ
ભાઈની હત્યાની અદાવત રાખી બે યુવકોએ લગ્ન મંડપમાં ફાયરિંગ
ફાયરિંગ કરતા એકની હાલત ગંભીર
સુરતના લિંબાયત વિસ્તારમાં લગ્ન પ્રસંગ સમયે ભાઈની હત્યાની અદાવત રાખી બે યુવકોએ લગ્ન મંડપમાં ફાયરિંગ કરતા એકની હાલત ગંભીર હોવાનુ જાણવા મળ્યુ છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં રાત્રે એક પરિવારમાં હલ્દીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે જૂની અદાવતમાં લોહિયાળ ખેલ ખેલાયો હતો. યોગેશ મારવાડીના દીકરાના લગ્ન પ્રસંગમાં આવેલા અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે પર હુમલાખોર જયેશ પાટીલ અને સુરજ ભવાનીએ જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. આ હુમલા પાછળનું મુખ્ય કારણ જયેશ પાટીલના ભાઈની થયેલી હત્યાની અદાવત હોવાની પ્રાથમિક માહિતી છે. જયેશનો આરોપ છે કે યોગેશ મારવાડીના માણસોએ તેના ભાઈની હત્યા કરી હતી, જેનું વેર વાળવા તે હથિયાર સાથે સીધો લગ્ન મંડપમાં પહોંચી ગયો હતો. તો પ્રાથમિક વિગતો મુજબ આ ફાયરિંગ પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. હુમલાખોર જયેશ પાટીલનો આરોપ છે કે યોગેશ મારવાડીના માણસોએ તેના ભાઈની હત્યા કરી હતી. આ જ હત્યા ની અદાવત રાખી જયેશ ઉર્ફે બારકુ પાટીલ તેના મિત્ર સુરજ ભવાની સાથે બંદૂક લઈને લગ્ન મંડપ પર પહોંચ્યો હતો. તેઓ યોગેશ મારવાડીના દીકરા રાહુલના લગ્ન પ્રસંગમાં વિઘ્ન નાખવા અને વેર વાળવા માટે આવ્યા હતાં. એસીપી વી. એમ. જાડેજાએ જણાવ્યું હતું કે, બારકુ પાટીલ નાનપણથી જ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે. તેની સામે અગાઉ પણ 30થી વધુ ગુનાઓ નોંધાયેલા છે અને તે છ મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યો હોવાની માહિતી મળી છે.
ભોગ બનનાર અજય ઉર્ફે પિન્ટુ ગિરાસે જ્યારે તેના મિત્ર કલ્પેશ સાથે મોપેડ પર સવાર થઈને યોગેશ મારવાડીને મળવા મંડપના ગેટ પાસે પહોંચ્યો, ત્યારે ત્યાં પહેલેથી જ હાજર જયેશ પાટીલ અને સુરજ ઉર્ફે ભવન્ડર તેની પાસે આવ્યા હતા. જયેશે તુમ ઇધર ક્યું આયે? કહીને પિન્ટુને લાફો માર્યો હતો અને ગાળાગાળી કરી હતી. ઉશ્કેરાયેલા જયેશે કમરમાંથી બંદૂક કાઢી લોડ કરીને પિન્ટુ પર સીધું ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં પિન્ટુને જમણા પગના ભાગે ગોળી વાગતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. ગોળી વાગતા તેને ચક્કર આવ્યા હતા અને તે બાજુમાં પડેલી ખુરશી પર બેસી ગયો હતો. હાલમાં ઈજાગ્રસ્ત પિન્ટુને તાત્કાલિક યુનિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરોએ તેના પગનું ઓપરેશન કરીને ગોળી બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે.

