બારડોલીમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી ભીષણ આગ
બ્લાસ્ટથી 75 વર્ષીય વૃદ્ધનું મોત
બારડોલીના ટેન રોડ વિસ્તારમાં આવેલ રત્ન કલશ રેસિડન્સી એપાર્ટમેન્ટમાં ગુરુવારે વહેલી સવારે આગની ગંભીર ઘટના બની હતી. સવારે અંદાજે 3:50 થી 4:00 દરમિયાન ઘરના પ્રથમ માળે અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
મળતી માહિતી મુજબ ઘરના એક રૂમમાં આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. ઘટના દરમિયાન ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં ગેસના ભારે દબાણના કારણે 75 વર્ષીય અરુણભાઈ મંચાભાઈ મિસ્ત્રી પોતાની જાન બચાવવા માટે પ્રથમ માળની ગેલેરીમાંથી કૂદકો માર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. આ મકાનના માલિક રિમ્પેશકુમાર ગિરીશભાઈ પટેલ, વ્યવસાયે ફ્રીલાન્સ ફોટોગ્રાફર છે. ઘટનાના સમયે ઘરમાં કુલ ત્રણ વ્યક્તિ હાજર હતા. મકાનમાં કુલ ત્રણ ગેસ સિલિન્ડર હતા. આગની ઘટનામાં અંદાજે મોટુ નું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે. જેમાં મકાન, મહત્વના દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક સામાન અને ફર્નિચર સંપૂર્ણ રીતે નષ્ટ થયાં હોવાનું જાણવા મળે છે.ઘટનાની જાણ અક્ષયકુમાર હરીશભાઈ મિસ્ત્રીએ ફાયર વિભાગને કરી હતી. ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આગ લાગવાના ચોક્કસ કારણ અંગે તપાસ ચાલુ છે….

