મોરબીના જેતપરમાં ખાનગી વીજ કંપની સામે ખેડૂતોનો મોરચો
વળતર વગર વીજ પોલ ઊભા કરાતા આમરણાંત ઉપવાસ પર ઉતર્યા
મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા પણ જોડાયા
મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ કંપનીની કામગીરી સામે ખેડૂતો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. આંદોલનમાં મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા પણ જોડાતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે
મોરબી જિલ્લાના જેતપર ગામે ખેડૂતો અને ખાનગી વીજ કંપની વચ્ચેનો વિવાદ હવે આંદોલનના સ્વરૂપમાં પરિવર્તિત થયો છે. ખેડૂતોના ખેતરોમાં વીજપોલ સ્થાપિત કરવાની કામગીરીને લઈને લાંબા સમયથી વિરોધ ચાલી રહ્યો હતો, જે હવે ઉપવાસ આંદોલન સુધી પહોંચ્યો છે. જેતપર ગામના ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જમીનમાં વીજપોલ નાખવાની કામગીરી દરમિયાન તેમની સંમતિ લેવામાં આવી નહોતી. તાજેતરમાં વીજપોલ સ્થાપન દરમિયાન પોલીસની હાજરીમાં કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો હતો. ખેડૂતોના જણાવ્યા અનુસાર, વિરોધ દરમિયાન મહિલાઓ અને બાળકો સાથે પણ કડક વલણ અપનાવવામાં આવ્યું હતું, જેના કારણે ગ્રામજનોમાં અસંતોષ વધુ વધ્યો છે. ખેડૂત આગેવાનો પર પણ નિશાન સાધતા કહ્યું કે ઘણા લોકો ખેડૂતોના મુદ્દાઓ પરથી નેતા બને છે, પરંતુ બાદમાં ખેડૂતોના પ્રશ્નો ભૂલી જાય છે. તેમણે જણાવ્યું કે હાલમાં ખેડૂતોના હિત માટે ખૂબ ઓછા લોકો ખુલ્લેઆમ અવાજ ઉઠાવી રહ્યા છે. 15 જૂને યોજાયેલી ટ્રેક્ટર રેલી અંગે તેમણે જણાવ્યું કે શરૂઆતમાં ખેડૂતોના હિત માટે તેમાં જોડાયા હતા, પરંતુ બાદમાં આંદોલન રાજકીય દિશામાં આગળ વધી રહ્યું હોવાનું લાગતા તેઓ તેમાંથી અલગ થઈ ગયા હતા.
આ આંદોલનમાં ગુજરાત સરકારના મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ રાકેશ અમૃતિયા પણ જોડાયા છે. તેમણે ગાંધીજીના અહિંસક માર્ગે આમરણ ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી છે. રાકેશ અમૃતિયાએ દ્વારકા, સુરેન્દ્રનગર અને અન્ય જિલ્લાઓના ખેડૂતોને પણ આ લડતમાં જોડાવાની અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ આંદોલન કોઈ રાજકીય હેતુથી પ્રેરિત નથી અને રાજકીય નેતાઓએ આંદોલનથી દૂર રહેવું જોઈએ. તેમના જણાવ્યા અનુસાર, ખેડૂતોના પ્રશ્નોને રાજકારણથી અલગ રાખીને હક અને ન્યાય માટે લડત લડવાની જરૂર છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

