સરકારની ધીમી કામગીરીથી પરિવારજનો ભડક્યાં,
કલેક્ટર ઊભી પૂંછડીએ ભાગ્યા
કહ્યું ફાસ્ટ કામગીરી તો અમદાવાદમાં ચાલી હતી રૂપાણીસાહેબ હતા ને…
ગંભીરાબ્રિજ દુર્ઘટનામાં 15 ની જળસમાધિ
મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરાબ્રિજ 9 જુલાઈના વહેલી સવારે 7:30 વાગ્યાની આસપાસ તૂટી પડ્યો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થતી 3 ટ્રક, 1 રિક્ષા, 1 ઈકો, 1 પિકઅપ ડાલું સાથે જ 2-3 બાઇક બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યાં હતાં.
મહીસાગર નદી પરના 45 વર્ષ જૂના ગંભીરાબ્રિજ દુર્ઘટનાને 30 કલાકથી વધુ સમય વીતવા છતાં પણ ગુમ 4 લોકો ના મળતાં તેમનાં પરિવારજનોની હિંમત ખૂટી ગઈ છે. તેમણે નિસાસો નાખતાં કહ્યું હતું કે ‘ફાસ્ટ કામગીરી તો અમદાવાદમાં ચાલી હતી, રૂપાણીસાહેબ હતા ને! અહીં તો ગોકળગતિએ કામગીરી ચાલે છે. આ સાથે જ આર્મી અને હેલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરવામાં આવે એવી તેમણે કલેક્ટરને રજૂઆત કરી હતી. હાલ તો ગુમ થનારા લોકોનાં પરિવારજનો નદી કિનારે બેસીને પોતાનાં સ્વજનના કોઈ સમાચારની રાહ જોઈ રહ્યા છે. આ દુર્ઘટનામાં 15 લોકોનાં મોત થયાં છે, જ્યારે 8 થી વધુ લોકોને રેસ્ક્યૂ કરી બચાવી લેવાયા હતા.
ગત મોડીરાતથી SDRF, NDRF અને ફાયરબ્રિગેડ સહિત 10થી વધુ એજન્સીઓની ટીમો બચાવ અને રાહતકાર્યમાં જોતરાયેલી છે. આજે(10 જુલાઈ) સવાર સુધીમાં કુલ 3 મૃતદેહ મળ્યા છે, જેમાંથી 2 મૃતદેહની ઓળખ થઈ ગઈ છે અને એક મૃતદેહને ઓળખવાની પ્રક્રિયા ચાલુ છે.કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

