જંગલના રાજાના રહેણાંક વિસ્તારોમાં આંટાફેરા
રાજકોટમાં દિવસેને દિવસે સિંહોના આંટાફેરા વધ્યાં
ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો
રાજકોટ જેતપુર તાલુકાના કાગવડ સ્થિત વિશ્વવિખ્યાત ખોડલધામ મંદિર આસપાસના વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા છે. આ ઘટનાને કારણે ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે, જેના પગલે વન વિભાગને જાણ કરવામાં આવી છે.
હવે જંગલના રાજાએ રહેણાંક વિસ્તારોમાં પોતાનું રહેઠાણ બનાવી લીધુ છે, ત્યારે રાજકોટમાં દિવસેને દિવસે રહેણાંક વિસ્તારોમાં સિંહોના આંટાફેરા વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, રાત્રિના સમયે ખેતરો અને ખુલ્લા વિસ્તારોમાં સિંહ દેખાવાની ઘટનાઓ સામે આવી રહી છે, જેનાથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખોડલધામ મંદિર નજીકના ખુલ્લા વિડી જેવા વિસ્તારમાં સિંહની હાજરી નોંધાઈ છે.
રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરાના કારણે પશુપાલકો અને ખેડૂતોમાં ભય ફેલાયો છે. સ્થાનિક લોકોએ વન વિભાગને તાત્કાલિક પેટ્રોલિંગ વધારવા અને સિંહને સુરક્ષિત રીતે જંગલ વિસ્તારમાં ખસેડવાની માંગ કરી છે. આ ઉપરાંત મંદિર દર્શન માટે આવતા ભાવિકો તથા વાહનચાલકોને પણ સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સિંહની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

