સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીનો પાળો ધોવાયો
ત્રણ જગ્યાએ પાળો તૂટી જતા નદી કિનારો અત્યંત જોખમી
કન્સ્ટ્રક્શન અને આસપાસની સોસાયટીઓ માટે પણ ચિંતાજનક
સુરતના મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીનો પાળો સતત ધસી રહ્યો છે. ભારે વરસાદ બાદ ત્રણ જગ્યાએ પાળો તૂટી જતા નદી કિનારો અત્યંત જોખમી બન્યો છે, જ્યારે નજીકમાં ચાલી રહેલું કન્સ્ટ્રક્શન અને આસપાસની સોસાયટીઓ માટે પણ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.
સુરતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે મોટા વરાછા વિસ્તારમાં તાપી નદીનો પાળો ત્રણ અલગ-અલગ સ્થળોએ ધસી પડ્યો છે. નદી કિનારે આવેલી જાહેર ફૂટપાથ પણ જમીનમાં બેસી જતાં આ વિસ્તાર જોખમી બની ગયો છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે સતત ઘસાતા નદીના પાળાથી માત્ર 45થી 50 ફૂટના અંતરે ગગનચુંબી બિલ્ડિંગનું નિર્માણ ચાલી રહ્યું છે. જેના કારણે કન્સ્ટ્રક્શન સાઈટ તેમજ આસપાસની સોસાયટીઓમાં રહેતા લોકોના જાનમાલ પર જોખમ તોળાઈ રહ્યું છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે સુરત મહાનગર પાલિકાએ માત્ર ચેતવણીના બેનરો લગાવીને સંતોષ માન્યો છે, પરંતુ પાળાને મજબૂત બનાવવા કે જોખમ દૂર કરવા માટે અસરકારક કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી. સ્થાનિકોએ તંત્ર પાસે તાત્કાલિક સુરક્ષા અને મરામતના પગલાં ભરવાની માંગ કરી છે.

