સુરતમાં ચોમાસુ બેસે તે પહેલા જ જર્જરિત મકાનો જોખમરૂપ
ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ સામે જર્જરિત મકાનનો છજ્જો તુટયો
ફસાયેલા લોકોને ફાયરે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા
સુરતમાં ચોમાસુ બેસે તે પહેલા જ જર્જરિત મકાનો જોખમરૂપ બની રહ્યા હોય તેમ લાગી રહયુ છે ત્યારે સુરતના ચોક બજાર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ સામે જ આવેલા એક જર્જરિત મકાનનો છજ્જો તુટી પડતા ફસાયેલા લોકોને ફાયરે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતાં.
સુરતના ચોક બજાર ખાતે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ સામે આવેલ સિંધીવાડ વિસ્તારમાં એક જર્જરિત મકાનનો છજ્જો અચાનક તૂટી પડતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર ઓફિસર બલવંતસિંહ અને તેમની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. મકાનની અંદર ફસાયેલા અંદાજે 5 થી 6 લોકોને ફાયર વિભાગની ટીમે સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ કરાયેલા લોકોમાં 65થી 70 વર્ષના એક અંધ વૃદ્ધનો પણ સમાવેશ થતો હતો. તેઓ ચાલી શકતા ન હોવાથી ફાયર કર્મચારીઓએ તેમને ઊંચકીને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતાં. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

