સુરતમાં રત્નકલાકારોના હક્કો માટે ડાયમંડ વર્કર્સ એસોસિયેશન મેદાને
યોગ્ય મજૂરી, રોજગારની સ્થિરતા અને કામદારોના હક્કો
હક્કોના રક્ષણની સરકાર સમક્ષ માંગ કરી
સુરતમાં રત્નકલાકારોના હક્કો માટે ડાયમંડ વર્કર્સ એસોસિયેશન મેદાને આવ્યુ હોય તેમ યોગ્ય મજૂરી, રોજગારની સ્થિરતા અને કામદારોના હક્કોના રક્ષણની સરકાર સમક્ષ માંગ કરી હતી.
સુરતના હીરા ઉદ્યોગમાં રત્નકલાકારોના પ્રશ્નોને લઈને ડાયમંડ વર્કર્સ એસોસિયેશન દ્વારા સરકાર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. એસોસિયેશનનો આક્ષેપ છે કે ભાવવધારા અને કામના પ્રમાણની સરખામણીએ રત્નકલાકારોને મળતી મજૂરીને લઈને કામદારોમાં અસંતોષ છે. હડતાળ સહિતના વિરોધ કાર્યક્રમો છતાં પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ આવ્યું નથી એવો પણ દાવો કરવામાં આવ્યો છે. રત્નકલાકારોને યોગ્ય હીરા મજૂરી, રોજગારની સ્થિરતા અને કામદારોના હક્કોનું રક્ષણ મળે તેવી માંગ શ્રમ અને રોજગાર મંત્રી સમક્ષ કરવામાં આવી છે. સાથે જ સરકારી શ્રમ વિભાગનું મહેકમ અપૂરતું હોવાના કારણે કામદારોની ફરિયાદોના ઝડપી નિરાકરણમાં મુશ્કેલી પડતી હોવાનો એસોસિયેશનનો આક્ષેપ છે.
રત્નકલાકારોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા સરકારને માંગ સાથે ચેતવણી આપવામાં આવી છે કે પ્રશ્નો નહીં ઉકેલાય તો આગામી દિવસોમાં વધુ આક્રમક રજૂઆતો અને કાર્યક્રમો કરવામાં આવશે.

