સુરતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ
દેશભરમાં ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ
27 જુલાઈએ વિશાળ જનજાગૃતિ રેલી
સુરતમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની અને દેશભરમાં ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે 27 જુલાઈએ વિશાળ જનજાગૃતિ રેલી યોજાનાર છે. સંતોના સાન્નિધ્યમાં નીકળનારી આ રેલી બાદ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના નામે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે.
ગૌ માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવાની માંગ ફરી તેજ બની છે. ગૌસંરક્ષણ અને ગૌસન્માનના સંદેશને જનજન સુધી પહોંચાડવાના હેતુથી દેશવ્યાપી અભિયાનના બીજા તબક્કા અંતર્ગત સુરતમાં 27 જુલાઈએ વિશાળ જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 27મી જુલાઈએ સવારે સીટીલાઈટ ખાતે આવેલ મહારાજા અગ્રસેન ભવન ખાતે વિજય મંત્રના સામૂહિક કીર્તન બાદ વનિતા વિશ્રામથી જિલ્લા સેવા સદન સુધી સંતોના સાન્નિધ્યમાં રેલી નીકળશે. રેલીમાં બળદગાડાં, આકર્ષક ઝાંખીઓ, ઢોલ-નગારાં તેમજ મહિલાઓ, યુવાનો, બાળકો અને વડીલો મોટી સંખ્યામાં જોડાશે.
આ સાથે હસ્તાક્ષર અભિયાનમાં એકત્ર થયેલા હસ્તાક્ષરો અને ગૌભક્તો દ્વારા રક્તથી લખાયેલા પત્રો પણ રેલીનું મુખ્ય આકર્ષણ બનશે. રેલી પૂર્ણ થયા બાદ મહામહિમ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના નામે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. વેપારી સમાજ સહિત વિવિધ સંગઠનોએ પણ આ અભિયાનને સમર્થન જાહેર કર્યું છે અને મોટી સંખ્યામાં ગૌભક્તોને રેલીમાં જોડાવા આયોજકોએ અપીલ કરી છે.

