વડોદરાની SSG હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૃતદેહ સાચવવાનો વિવાદ
હોસ્પિટલ તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા વિવાદિત ફોર્મનો મુદ્દો
વિવાદિત ફોર્મનો મુદ્દો ગાંધીનગર સુધી પહોંચ્યો…
વડોદરામાં જો ઘરમાં કોઈનું મૃત્યુ થાય અને સ્વજનો વિદેશ કે બહાર ગામથી આવવાના હોવાથી સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૃતદેહ મૂકવા જાવ, તો ફોર્મ પર સહી કરતાં પહેલાં 3 લીટીની નોંધ અવશ્ય વાંચજો. સયાજી હોસ્પિટલ ઘોર બેદરકારી અને સંવેદનહીનતાથી વિવાદમાં આવી છે.
વડોદરાની SSG હોસ્પિટલ તંત્રે ભૂલ સુધારવાને બદલે જવાબદારીમાંથી છૂટકારો મેળવવાનો રસ્તો શોધી લીધો છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ફોર્મમાં નોંધ મૂકી છે કે, ‘કોલ્ડરૂમના મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાય અને મૃતદેહ બગડે તો હોસ્પિટલની જવાબદારી રહેશે નહીં.’ એપ્રિલમાં આ ઘટના બની તે પહેલાં જે ફોર્મ ભરાવવામાં આવતું હતું, તેમાં નીચે કોઈ પણ પ્રકારની શરત કે વિશેષ નોંધ લખવામાં આવતી નહોતી. તંત્ર મૃતદેહને સુરક્ષિત રાખવા બંધાયેલું હતું. 29 એપ્રિલે હોસ્પિટલના કોલ્ડરૂમમાં એક વૃદ્ધાનો મૃતદેહ મૂકાયો હતો. સ્વજનો 2 દિવસ બાદ મૃતદેહ લેવા ગયા ત્યારે તે સડેલી હાલતમાં હતો. જેને પગલે હોસ્પિટલમાં હોબાળો મચ્યો હતો. પરિવાર અને તબીબો વચ્ચે મારામારી થઈ હતી. તબીબોએ પરિવાર વિરુદ્ધ રાવપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી,જેથી રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઊતરી ગયા હતા. મામલો છેક ગાંધીનગર રાજ્ય સરકાર સુધી પહોંચતાં ઉચ્ચ અધિકારીઓ વડોદરા દોડી આવ્યા હતા અને ત્યારબાદ હડતાળ સમેટાઈ હતી.
આ ઘટના બાદ શહેરીજનોને આશા હતી કે, હોસ્પિટલ તંત્ર કોલ્ડરૂમની વ્યવસ્થા સુધારવા નક્કર પગલાં લેશે, પણ તંત્રે છટકબારી શોધી ફોર્મમાં સુધારો કરી દીધો છે. કોલ્ડરૂમમાં મૃતદેહ મૂકવા સગા પાસે જે ફોર્મ ભરાવાય છે, તેમાં નવી નોંધ ઉમેરી દેવાઈ છે. આ નોંધમાં લખ્યું છે કે, ‘કોલ્ડરૂમના મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાય અને મૃતદેહ બગડી જાય તો હોસ્પિટલની જવાબદારી રહેશે નહીં.’ નવી નોંધથી હોસ્પિટલ સત્તાધીશો ભવિષ્યની આવી ઘટનામાં કાયદાકીય રીતે બચી શકે અને દોષ મૃતકના સ્વજનો પર ઢોળી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

