ચાંદીપુરાથી ભાવનગરમાં બાળકનું મોત
13 માંથી અત્યાર સુધીમાં 4ના મોત ચાંદીપુરાથી થયાની પુષ્ટી,
રાજ્યના વધુ એક જિલ્લામાં ચાંદીપુરાથી એક બાળકનું મોત થયું છે. ભાવનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મૃત્યુનો કેસ સામે આવ્યો છે. વલભીપુર તાલુકાના મેલાણા ગામના 9 વર્ષીય બાળકનું મૃત્યુ થયું છે. 8 જુલાઈએ ભાવનગરની સરકારી હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો હતો અને 9 જુલાઈએ સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું. જે બાળકના સેમ્પલ તપાસ માટે મોકલાયા હતા, ત્યારે લેબ રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુની પુષ્ટિ થઈ छे.
ચાંદીપુરા વાયરસ રોગચાળાને કારણે ગુજરાતમાં અત્યાર સુધીમાં ચાર બાળકના મોત થયા જેના રિપોર્ટમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ છે. જ્યારે અન્ય 9 બાળ દર્દીના મોત થયા છે. જેમાં વાયરસના શંકાસ્પદ લક્ષણો હતા. જેના કારણે સમગ્ર રાજ્યનું આરોગ્ય તંત્ર એલર્ટ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, પંચમહાલમાં 17 અને સાબરકાંઠામાં 13 કેસ નોંધાઈ ચૂક્યા છે. સાબરકાંઠા, પંચમહાલ બાદ હવે ભાવનગરમાં ચાંદીપુરા વાયરસે બાળકનો જીવ લીધો છે. સંક્રમિત થનારા દર્દીને જોરદાર તાવ આવે છે. ફ્લૂ જેવાં લક્ષણ અને એન્સેફ્લાઈટિસની ફરિયાદ રહે છે. ઊલટી, ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો.
આ વાઈરસનો મૃત્યુદર 75% સુધીનો છે. વાઈરસ સીધો મગજ પર અસર કરે છે. ભાવનગર જિલ્લામાં ચાંદીપુરાથી પ્રથમ મૃત્યુનો કેસ નોંધાયો છે. ત્યારે જિલ્લા આરોગ્ય અધિકારી કે.એમ.સોલંકીએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, વલભીપુર તાલુકાના મેલાણા ગામમાં રહેતો અને મૂળ મધ્યપ્રદેશનો 9 વર્ષીય બાળક 6 જુલાઈના રોજ જામનગરથી મેલાણા ગામે આવ્યો હતો. ત્યારબાદ તેને તાવ તેમજ ચાલવામાં તકલીફ થતાં પરિવારજનોએ પ્રથમ વલભીપુર ખાતે સારવાર કરાવી હતી.

