સુરતમાં સીઆર પાટીલ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી
દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી
નેપાળમાં સર્જાયેલા વિનાશક પૂર અંગે પણ ચિંતા વ્યક્ત કરી
કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલ દ્વારા રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે દેશવાસીઓને રક્ષાબંધનની શુભેચ્છાઓ પાઠવી અને પર્વના મહત્વ અંગે સંદેશ આપ્યો હતો જેમાં સીઆર પાટીલે નેપાળમાં સર્જાયેલા વિનાશક પૂર અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને ભારત સરકારની મદદ અંગે માહિતી આપી હતી.
રક્ષાબંધનના પર્વને ભાઈ-બહેનના પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક ગણાવતા સીઆર પાટીલે કહ્યું હતુ કે બહેન ભાઈને રાખડી બાંધે છે, ત્યારે ભાઈ તેની હંમેશા રક્ષા કરવાનો સંકલ્પ લે છે. સીઆર પાટીલે જણાવ્યું કે આજે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે અને આપણા દેશમાં આ પર્વનું અનેરું મહત્વ છે. ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન ભાઈ-બહેનના પવિત્ર પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક માનવામાં આવે છે. બહેન જ્યારે પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે, ત્યારે ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, પરંતુ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમ, લાગણી અને પરસ્પર વિશ્વાસને વધુ મજબૂત કરતું પર્વ છે. આ પાવન દિવસે સીઆર પાટીલે સૌને રક્ષાબંધનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તો સાથે નેપાળમાં આવેલા વિનાશક પૂર અંગે સીઆર પાટીલે ઘટનાને અકલ્પનીય અને ભયાવહ ગણાવી હતી.
તેમણે કહ્યું હતુ કે પૂરનાં ભયાનક વીડિયો સામે આવ્યા છે, જેમાં ગાડીઓ અને મકાનો પણ તણાઈ ગયા હતા. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોના લોકો નેપાળ પ્રવાસે ગયા હતા અને 150થી વધુ ગુજરાતીઓ પ્રભાવિત થયા હોવાના અહેવાલ હોવાનું તેમણે જણાવ્યું હતું. સીઆર પાટીલે વધુમાં કહ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નેપાળના સંપર્કમાં છે અને ભારત દ્વારા નેપાળને 47.5 ટન સહાય મોકલવામાં આવી છે.

