સુરત પાંડેસરામાં બોગસ શાળાનો પર્દાફાશ
બોગસ દસ્તાવેજોના આધારે ચાલતી શાળાની માન્યતા રદ,
200 વિદ્યાર્થીઓને અન્ય શાળામાં શિફ્ટ કરવાની કાર્યવાહી શરૂ.
સુરતના પાંડેસરામાં શિક્ષણના નામે ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ થયો હોય તેમ બોગસ દસ્તાવેજોના આધારે ચાલતી સંત શ્રી રઘુવરદાસ અંગ્રેજી પ્રાથમિક શાળાની માન્યતા તંત્રએ તાત્કાલિક અસરથી રદ કરી છે. જ્યારે 200 વિદ્યાર્થીઓનુ ભવિષ્ય બચાવવા તંત્ર દ્વારા અન્ય શાળાઓમાં બાળકોને શિફ્ટ કરવા કામગીરી હાથ ધરાઈ છે.
સુરત જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમાર દ્વારા બોગસ શાળા સામે લાલ આંખ કરી હતી. બોગસ દસ્તાવેજોના આધારે શાળા ચલાવવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. જેમાં પાંડેસરાની સંત શ્રી રઘુવરદાસ અંગ્રેજી પ્રાથમિક શાળાની માન્યતા તંત્રએ રદ કરી દીધી છે. આ કાર્યવાહી બાદ શાળામાં અભ્યાસ કરતા લગભગ 200 વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને ચિંતા ઊભી થઈ છે. જોકે વિદ્યાર્થીઓનું શિક્ષણ ન અટકે તે માટે તેમને અન્ય શાળામાં ખસેડવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. શાળાની માન્યતા રદ થતાં જ કૌભાંડી સંચાલકો સામે હવે ફોજદારી કેસ નોંધવાની કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. આ અંગે સુરત શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારે માહિતી આપી હતી.

