સુરતને અડીને આવેલ નવાપુર અને નંદુરબારના પ્રભાવિત વિસ્તારોમાં બર્ડ ફ્લૂ
મહારાષ્ટ્રના નવાપુરમાં બર્ડ ફ્લૂના હાહાકારથી સુરત તંત્ર એલર્ટ.
પોલ્ટ્રી ફાર્મમાં વિશાળ સ્તરે “કુલિંગ ઓપરેશન” હાથ ધરવામાં આવ્યું.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવાપુર અને નંદુરબારના પ્રભાવિત વિસ્તારોમાં એક કિલોમીટરના રેડિયસમાં આવેલા તમામ પોલ્ટ્રી ફાર્મમાં વિશાળ સ્તરે “કુલિંગ ઓપરેશન” હાથ ધરવામાં આવ્યું.
સુરતને અડીને આવેલા મહારાષ્ટ્રના સરહદી વિસ્તારો નવાપુર અને નંદુરબારમાં H5N1 બર્ડ ફ્લૂનો ચોંકાવનાર મામલો સામે આવ્યો છે. તારીખ 30 એપ્રિલે નવાપુર ખાતે પોલ્ટ્રી ફાર્મમાંથી લેવાયેલા સેમ્પલમાં બર્ડ ફ્લૂ પોઝિટિવ હોવાનું બહાર આવતા સમગ્ર પ્રશાસન એલર્ટ મોડ પર આવી ગયું છે. આ બર્ડ ફ્લૂની અસર માત્ર મહારાષ્ટ્ર સુધી મર્યાદિત નથી રહી, પરંતુ તેની અસર સીધી સુરતના બજારો પર પણ પડી રહી છે. નવાપુરમાંથી રોજબરોજ મોટા પ્રમાણમાં ઈંડાનો સપ્લાય સુરત શહેરમાં થતો હતો. અંદાજે 50 લાખના ઈંડા રોજ સુરત પહોંચતા હતા, પરંતુ હાલ સપ્લાય બંધ થતાં વેપારીઓને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે.
મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવાપુર અને નંદુરબારના પ્રભાવિત વિસ્તારોમાં એક કિલોમીટરના રેડિયસમાં આવેલા તમામ પોલ્ટ્રી ફાર્મમાં વિશાળ સ્તરે “કુલિંગ ઓપરેશન” હાથ ધરવામાં આવ્યું. આ કામગીરી દરમિયાન અંદાજે 2.5 લાખ જેટલા મરઘાંનો નિકાલ કરવામાં આવ્યો છે, જેથી વાયરસના ફેલાવાને રોકી શકાય. જિલ્લા કલેક્ટર દ્વારા બર્ડ ફ્લૂની સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે અને પ્રભાવિત વિસ્તારોને નિયંત્રણ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. પ્રશાસન દ્વારા પોલ્ટ્રી ફાર્મ સંચાલકોને પ્રતિ મરઘા દીઠ 140 નું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, પોલ્ટ્રી ફાર્મ એસોસિએશન આ વળતરથી અસંતોષ વ્યક્ત કરી રહ્યું છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

