ભાવનગર મહાનગરપાલિકાની બેદરકારીથી જીવ જોખમમાં
કુંભારવાડા સ્મશાન પાસે મરણમાર્ગ જેવો ખાડો!
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા મોક્ષ મંદિર અને સ્મશાનભૂમિ બહારનું દ્રશ્ય હાલ ચોંકાવનારું બની ગયું છે. મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈન માટે ખોદવામાં આવેલો વિશાળ ખાડો હવે લોકો માટે જીવલેણ સાબિત થવાની કગાર પર છે. સૌથી ચિંતાજનક વાત એ છે કે છેલ્લા આઠ દિવસથી આ કામ સંપૂર્ણપણે બંધ હોવાનું દેખાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવો છે.
ભાવનાગરમાં સ્મશાન જેવું સંવેદનશીલ સ્થળ, જ્યાં રોજિંદા લોકો અંતિમવિધિ માટે આવે છે, ત્યાં જ આ પ્રકારની બેદરકારી અસહ્ય બની ગઈ છે. મૃતદેહ લાવતા પરિવારજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શોકમાં ગરકાવ પરિવાર માટે આ માર્ગ “મરણમાર્ગ” બની રહ્યો છે, જ્યાં એક તરફ દુ:ખ અને બીજી તરફ જોખમનો સામનો કરવો પડે છે. દિવસ દરમિયાન મોક્ષ મંદિર ખાતે દર્શનાર્થીઓની પણ અવરજવર રહે છે, પરંતુ ખાડાના કારણે રસ્તો સંકુચિત, ઊંડો અને જોખમી બની ગયો છે. વાહનો પસાર કરવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે, જયારે પગપાળા જતા લોકો માટે પણ દરેક પગલું જોખમભર્યું બની ગયું છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો માટે આ પરિસ્થિતિ અત્યંત ભયજનક બની ગઈ છે. આ ખાડાની આસપાસ કોઈપણ પ્રકારનું બેરીકેટ, ચેતવણી બોર્ડ કે રેડિયમ પાટી ને લગાવવામાં નહી આવતા રાત્રિના સમયે જોખમ અનેકગણું વધી જાય છે. અંધારામાં ખાડો નજરે ન પડતાં કોઈપણ ક્ષણે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. સ્થાનિકોના કહેવા મુજબ, “અહીં કોઈ પડી જાય તો સીધો જાનહાની નો ભય છે”. વધુ ચિંતાજનક બાબત એ છે કે રોડનો એક ભાગ નબળો પડી ગયો છે અને તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં છે. આવી સ્થિતિમાં જો મોટું વાહન પસાર થાય તો વધુ નુકસાન થવાની શકયતા નકારી શકાય નહીં.

