અમદાવાદમાં કાળઝાળ ગરમી માટે રહેજો તૈયાર.
3 દિવસ બાદ તાપમાનમાં થશે વધારો.
ભાવનગરમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું.
ગુજરાતમાં દિવસે ગરમી અને વાદળછાયા વાતાવરણ બાદ આગામી દિવસોમાં ગરમીનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 3-5 ડિગ્રી સેલ્સિયસનો ક્રમિક વધારો થવાની સંભાવના છે.
ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો માટે ખાસ ચેતવણી જારી કરવામાં આવી હતી. 4 થી 7 માર્ચ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમ અને ભેજવાળા હવામાનને કારણે અસ્વસ્થતા અનુભવાય તેવી શક્યતા છે. જોકે, સમગ્ર રાજ્યમાં આગામી 7 દિવસ સુધી હવામાન મુખ્યત્વે સૂકું રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. ત્યારબાદ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. તેવી જ રીતે, લઘુત્તમ તાપમાનમાં પણ આગામી 3 દિવસમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
ગરમ અને ભેજવાળા હવામાનને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. સામાન્ય જનતા માટે આ ગરમી સહન કરી શકાય તેવી હોવા છતાં, શિશુઓ, વૃદ્ધો અને લાંબી બીમારી ધરાવતા લોકો માટે તે સ્વાસ્થ્ય સંબંધી ચિંતાનો વિષય બની શકે છે. લોકોને સીધા સૂર્યપ્રકાશમાં જવાનું ટાળવા, હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા તેમજ માથું ઢાંકીને બહાર નીકળવાની સલાહ આપવામાં આવી છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

