બારડોલી : ૭૬મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી
રાજયમાં વન મહોત્સવની ઉજવણી ૧૯૫૦થી શરૂ થઈ:ઈશ્વર પરમાર
વન અને પર્યાવરણ રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મહોત્સવની ઉજવણી
આ પ્રસંગે ધારાસભ્ય,કલેકટર ફોરેસ્ટ અધિકારીઓ સહીત અનેક લોકો હાજર રહ્યા
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ઉમરાખ સ્થિત વિદ્યાભારતી ટ્રસ્ટ કોલેજ ખાતે સુરત વનીકરણ વિભાગ દ્વારા ૭૬મા જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. મંત્રી તથા અન્ય મહાનુભાવોએ વિવિધ ગામોમાં વૃક્ષ-રોપા વિતરણ માટેના વૃક્ષ રથને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ અવસરે મંત્રી પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં ૭૬ વર્ષથી વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત સામાજીક વનીકરણમાં પણ અગ્રેસર રહ્યું છે. સર્વાંગી વિકાસ સાથે સાથે હરિયાળું ગુજરાત બને તે માટે રાજ્ય સરકારે અનેક યોજનાઓ અમલી બનાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધરતી માતાનું ગ્રીન કવચ વધારવાના હેતુ સાથે વિશ્વ પર્યાવરણ દિવસે ‘એક પેડ મા કે નામ’ દેશવ્યાપી અભિયાન શરૂ કરી દેશમાં ૧૪૦ કરોડ જેટલા વૃક્ષો વાવવાનું આહ્વાન કર્યું છે. એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત દેશમાં ૧૪૧ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૫-૨૬માં ગુજરાતમાં હરિત વન યોજના હેઠળ ૧૦૦ હેક્ટરમાં વૃક્ષારોપણ કરાયું છે. મંત્રીએ સૌ નાગરિકોને ‘એક પેડ મા કે નામ’ ૨.O અભિયાનમાં જોડાઈ જનભાગીદારીથી રાજ્યને હરિયાળુ, સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાના અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. વન કવચ યોજના હેઠળ આ વર્ષે ૪૦૦ હેક્ટરમાં વન કવચના નિર્માણ માટે બજેટમાં જોગવાઈ કરી છે. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, રાજયમાં વન મહોત્સવની ઉજવણી ૧૯૫૦થી શરૂ થઈ હતી. વૃક્ષો આપણી ધરતી માતાના ઘરેણાં છે. વૃક્ષો પર્યાવરણની દ્રષ્ટિએ કરોડરજ્જુ છે. વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ગુજરાતની આબોહવાને અનુરૂપ રાજ્યમાં મિયાવાકી પદ્ધતિથી વનો બનાવવા વન કવચ યોજના અમલી બનાવી છે. રાજ્ય સરકારે ૨૦૦૪થી સાંસ્કૃતિક વનોનું નિર્માણ થઈ રહ્યું છે. વન સિવાયના વિસ્તારમાં વૃક્ષારોપણમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે. રાજ્ય સરકાર દ્વારા કરાયેલ વૃક્ષોની ગણતરી મુજબ વન બહારના વિસ્તારમાં વર્ષ ૨૦૦૩માં ૫.૧૦ કરોડ વૃક્ષો હતા. જે વધીને વર્ષ ૨૦૨૧માં વધીને વર્ષ ૩૯.૭૫ કરોડથી વધુ વૃક્ષોનું વાવેતર થયું છે. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું તેમજ વિશેષ સેવા બજાવનારને પ્રશંસાપત્ર એનાયત કરાયા હતા. બારડોલી વિદ્યાભારતી કોલેજ કેમ્પસ ઉમરાખ ખાતે મંત્રી, મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આ વેળાએ જિલ્લાની રેન્જોમાં આવતા ઉંભેળ ગામને ગ્રામવન વાવેતરની ઉપજના રૂ.૧૧,૦૮,૮૧૩ અને માંગરોળ રેંજના રણકપોર ગામને ગ્રામવન વાવેતર ઉપજના રૂ.૧૩,૫૯,૬૧૦ લાભાર્થીઓને ચુકવવામાં આવ્યા હતા. મહિલા ગ્રુપ નર્સરી યોજના અને DCP, SCP યોજના હેઠળના લાભાર્થીઓને સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ધારાસભ્ય મોહન ઢોડિયા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, નાયબ વન સંરક્ષક ધીરજકુમાર (I.F.S), બારડોલી પ્રાંત અધિકારી જીજ્ઞા પરમાર, અગ્રણી ભરત રાઠોડ, ભાવેશ પટેલ, વિદ્યાભારતી ટ્રસ્ટના કિરીટ પટેલ, ફોરેસ્ટ અધિકારીઓ, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ સહિત ખેડૂતો, ગ્રામજનો, વૃક્ષપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા…

