ડેડીયાપાડામાં સાંસદ મનસુખ વસાવાના પ્રહાર
ચૈતર વસાવા અને ભાજપ જિલ્લા પ્રમુખ પર સાધ્યું નિશાન
જવાબદારી ન સંભાળી શકો તો રાજીનામું આપી દો
નર્મદાના ડેડિયાપાડા ખાતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પક્ષની બેઠકમાં વિપક્ષ અને પોતાના જ પક્ષના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા.
નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને સાગબારા તાલુકા પ્રમુખ રોહન વસાવાની ગેરહાજરી પર નારાજગી વ્યક્ત કરીને કહ્યું હતું કે, જવાબદારી ન સંભાળી શકો તો રાજીનામું આપી દો. દેડિયાપાડાના જાનકી આશ્રમ ખાતે યોજાયેલી ભાજપની સંગઠનાત્મક બેઠકમાં સાંસદ મનસુખ વસાવાના નિવેદનોએ સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. તેમણે આપના ધારાસભ્ય ચૈતર વસાવા ઉપરાંત ભાજપના જિલ્લા પ્રમુખ નીલ રાવ પર પણ ખુલ્લેઆમ આકરા પ્રહારો કર્યા. તેમણે અનેક રાજકીય મુદ્દાઓ ઉઠાવ્યા. સાંસદે દાવો કર્યો કે ગુજરાત અને કેન્દ્રમાં ભાજપની સરકાર યથાવત રહેશે. ભાજપને હરાવવું શક્ય નથી. ચૈતર વસાવાના વિકાસના દાવાઓને પડકારતા તેમણે ખુલ્લી ડિબેટ માટે આમંત્રણ આપ્યું. છેલ્લા ત્રણ વર્ષમાં થયેલા વિકાસ કાર્યોનો હિસાબ જનતા સમક્ષ રજૂ કરવાની માગ કરી.
ચૈતર વસાવાના જેલપ્રકરણ અંગે પણ તેમણે કહ્યું કે તેઓ લોકો માટે નહીં, પરંતુ પારિવારિક કારણોસર જેલમાં ગયા હતા. સાગબારાના જંગલ જમીનના મુદ્દે સાંસદે પોલીસ અને વન વિભાગની કાર્યવાહી સામે સવાલ ઉઠાવ્યા. ખેડૂતો સાથે આતંકવાદીઓ જેવો વ્યવહાર થતો હોવાનો આક્ષેપ કર્યો. તેમણે આદિવાસી સમાજમાં ભાગલા પાડવાના પ્રયાસોની પણ ટીકા કરી. ભાજપના આંતરિક સંગઠન મુદ્દે પણ મનસુખ વસાવાએ અસંતોષ વ્યક્ત કર્યો. જિલ્લા પ્રમુખ નીલ રાવ અને તાલુકા પ્રમુખ રોહન વસાવાની ગેરહાજરીનો ઉલ્લેખ કર્યો. જવાબદારી નિભાવી ન શકતા હોય તો રાજીનામું આપવાની ટકોર કરી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

