ચોટીલા ખાતે નાયબ કલેક્ટરે અરજદારોની રજૂઆતો સાંભળી
દિવસમાં 161 અરજદારોની રજૂઆતો સાંભળવામાં આવી
ચોટીલા ખાતે નાયબ કલેક્ટર એચ ટી મકવાણા દ્વારા નાયબ કલેક્ટર કચેરી ખાતે મુલાકાતી દિવસમાં 161 અરજદારોની રજૂઆતો સાંભળવામાં આવી હતી
રાજ્ય સરકારની જનકેન્દ્રિત વહીવટી વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા તથા નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવાના હેતુસર આજ રોજ સોમવારના નિયમિત મુલાકાતી દિવસ દરમિયાન નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાએ ચોટીલા નાયબ કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી નાગરિકોની રજૂઆતો સાંભળી હતી. મુલાકાતી દિવસ દરમિયાન ચોટીલા સબ ડિવિઝનના વિવિધ ગામો અને વિસ્તારોમાંથી 161 નાગરિકોએ જમીન, મહેસૂલ, પાણી પુરવઠો, રસ્તા, સામાજિક સુરક્ષા યોજનાઓ, જાહેર પ્રશ્નો તેમજ અન્ય વિવિધ બાબતો અંગે પોતાની રજૂઆતો કરી હતી. રજૂ થયેલ અરજીઓ પૈકી કેટલીક અરજીઓનો માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, કેટલીક અરજીઓ સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે બાકીની અરજીઓના ઝડપી અને ગુણવત્તાસભર નિરાકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે પ્રજાજનોના પ્રશ્નોનું સમયસર નિરાકરણ લાવવું તંત્રની પ્રથમ પ્રાથમિકતા છે. નાગરિકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને તેમની સમસ્યાઓનો નિયમોનુસાર તથા પારદર્શક રીતે ઉકેલ આવે તે માટે વહીવટી તંત્ર સતત કાર્યરત છે. મુલાકાતી દિવસ દરમિયાન અરજદારોને તેમની અરજીઓ અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સંબંધિત વિભાગો વચ્ચે સંકલન સાધી પ્રશ્નોના વહેલાસર નિરાકરણ માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી….

