સોનગઢમાં સીસીરોડ માપણી મામલે વેપારીઓમાં રોષ
માતૃશ્રી કોમ્પલેક્ષને લાભ થાય તે રીતે માપણી થયાનો આક્ષેપ
વેપારીઓએ નિષ્પક્ષ અને કાયદેસર ફરી માપણી કરવાની કરી માંગ
સોનગઢમાં નવા CC રોડને લઈ વિવાદ, વેપારીઓએ નગરપાલિકા પર ભેદભાવના આક્ષેપ કર્યા
તાપી જિલ્લાના સોનગઢ શહેરના દેવજીપુરા વિસ્તારમાં બનતા નવા CC રોડના કામને લઈને વિવાદ સર્જાયો છે. સ્થાનિક વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે રોડના કામ દરમિયાન ભેદભાવ રાખીને માપણી કરવામાં આવી રહી છે અને કેટલાક લોકોને લાભ પહોંચાડવાના હેતુથી ગેરરીતિ થઈ રહી છે.
સોનગઢમાં વેપારીઓના જણાવ્યા મુજબ માતૃશ્રી કોમ્પલેક્ષને લાભ મળે તે રીતે માપણી કરવામાં આવી હોવાનું તેઓનો આક્ષેપ છે. વેપારીઓએ માંગ કરી છે કે સમગ્ર વિસ્તારની ફરીથી નિષ્પક્ષ અને કાયદેસર માપણી કરવામાં આવે તેમજ વિકાસના કામોમાં પારદર્શિતા જળવાઈ રહે. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે જો યોગ્ય રીતે માપણી નહીં થાય તો ભવિષ્યમાં વાહન વ્યવહાર અને દુકાનદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી નગરપાલિકા દ્વારા તમામ વેપારીઓ અને સ્થાનિકોની હાજરીમાં ફરી માપણી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. બીજી તરફ સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસરે તમામ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે CC રોડનું કામ સરકારના નીતિ-નિયમો અને ટેકનિકલ માપદંડ મુજબ જ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ નથી અને વિકાસના કામોમાં પારદર્શિતા જાળવવામાં આવી રહી છે. હાલ સમગ્ર મામલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને વેપારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉગ્ર બની રહી છે..

