મહુવામાં અસામાજિક તત્વો દ્વારા વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ
ઘટનાને લઈને પોલીસ તંત્ર હરકતમાં,
શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા અપીલ
ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થયો હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે, જ્યારે પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે. સમગ્ર મામલે તપાસ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહુવાના ગાંધીબાગ ગાર્ડનમાં બાળકોને રમાડવા ગયેલી મુસ્લિમ મહિલાઓ સાથે કેટલાક અજાણ્યા ઈસમોએ ગેરવર્તણૂક અને મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. મહિલાઓ બુરખામાં હોવાને કારણે તેમને ચોક્કસ ધર્મને ટાર્ગેટ કરીને હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ઘટના બાદ ભોગ બનનાર મહિલાઓ તેમજ સમાજના આગેવાનો મહુવા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આરોપીઓ સામે FIR નોંધવાની માંગ ઉઠાવી હતી. સમગ્ર ઘટનાને લઈને શહેરમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. સ્થાનિક લોકોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, સમાજમાં ભય અને વૈમનસ્ય ફેલાવનાર આવા અસામાજિક તત્વો સામે પોલીસ કડક કાર્યવાહી કરશે કે નહીં? તેમજ શું આવા આરોપીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરાશે કેપછી તેમને છાવરવાનો પ્રયાસ થશે? હાલ પોલીસ અધિકારીઓ દ્વારા વિશ્વાસ અપાયો છે કે, ઘટનામાં સંડોવાયેલા કોઈપણ આરોપીને છોડવામાં નહીં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

