સુરત માંડવીમાં AAP ઉમેદવારનું અપહરણ.
સઠવાવ તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર રાજુ ચૌધરીનું અપહરણ
રાજેશ ચૌધરીએ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપનો સાથ પકડ્યો
સુરત જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે આમ આદમી પાર્ટીને મસમોટો ફટકો પડ્યો છે. માંડવી તાલુકાની સથવાવ તાલુકા પંચાયત બેઠક પરના ‘આપ’ ના સત્તાવાર ઉમેદવાર રાજેશ ચૌધરીએ પક્ષ સાથે છેડો ફાડીને ભાજપનો સાથ પકડ્યો છે. આ ફેરફારથી રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે.
માંડવીમાં સઠવાવ તાલુકા પંચાયત બેઠકના AAP ઉમેદવાર રાજેશ ચૌધરીના અપહરણના આરોપ વચ્ચે રાજેશ ચૌધરીએ સુરત જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચીને વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. સુરત જિલ્લા પ્રભારી ગૌતમ ગેઢીયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડે તેમને કેસરિયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. ભાજપમાં જોડાયા બાદ રાજેશ ચૌધરીએ ભાજપના ઉમેદવારને પોતાનો સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારે મેદાન છોડીને ભાજપમાં પ્રવેશ કરતા હવે સથવાવ બેઠક પરનું ચિત્ર બદલાઈ ગયું છે. હવે આ બેઠક પર મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામશે. ‘આપ’ ના ઉમેદવારના ભાજપ પ્રવેશથી ભાજપની સ્થિતિ વધુ મજબૂત બની હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ચૂંટણીના આરે જ વિપક્ષી ઉમેદવારનું પક્ષ પરિવર્તન ભાજપ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય પર રાજેશ ચૌધરીના પ્રવેશ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આજે સાંજે છ કલાકે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થશે, એ પહેલા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવીને મતદાતાઓને પોતાના પક્ષને મત આપવા માટે મનાવી રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

