સુરતમાં રાષ્ટ્રધ્વજ તિરંગાની ગરિમા જાળવવા માટે વિશેષ અભિયાન
ફ્યુચર ફાઉન્ડેશન અને ઈન્ડિયા પોસ્ટના સહયોગથી અભિયાન
350 સ્થળોએ તિરંગા કલેક્શન બોક્સ મૂકવામાં આવ્યા
સુરતમાં રાષ્ટ્રધ્વજ તિરંગાની ગરિમા જાળવવા માટે વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરત ફ્યુચર ફાઉન્ડેશન અને ઈન્ડિયા પોસ્ટના સહયોગથી શહેરમાં 350 સ્થળોએ તિરંગા કલેક્શન બોક્સ મૂકવામાં આવ્યા છે.
રાષ્ટ્રીય તહેવારો સ્વાતંત્ર પર્વ અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી બાદ તિરંગાની જાળવણી માટે સુરતમાં ખાસ અભિયાન શરૂ કરાયુ છે. જેમાં સુરત ફ્યુચર ફાઉન્ડેશન અને ઈન્ડિયા પોસ્ટના સહયોગથી શહેરમાં 350 સ્થળોએ તિરંગા કલેક્શન બોક્સ મૂકવામાં આવ્યા છે. ઉપયોગ બાદ રાષ્ટ્રધ્વજને રસ્તા પર કે અન્ય જગ્યાએ ફેંકવાને બદલે નાગરિકો સન્માનપૂર્વક કલેક્શન બોક્સમાં જમા કરાવી શકશે. પોસ્ટ ઓફિસ, શાળા, કોલેજ અને યુનિવર્સિટી સહિતના સ્થળોએ આ બોક્સ 21 ઓગસ્ટ સુધી ઉપલબ્ધ રહેશે.
એકત્રિત થયેલા તિરંગાનું ભારતીય ધ્વજ સંહિતા મુજબ સન્માનપૂર્વક નિકાલ કરવામાં આવશે. આ અભિયાન અંતર્ગત એસવીએનઆઈટીથી કારગિલ ચોક સુધી તિરંગા જાગૃતિ રેલી યોજાઈ હતી, જેમાં 350થી વધુ લોકો જોડાયા હતા. રેલીમાં ઈન્ડિયા પોસ્ટના એસએસપી યશકુમાર જૈન સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

