સુરતના કામરેજના પરબ ગામે ખેલાયો ખુની ખેલ
મિત્રએ જ પથ્થર ઝીંકી ભાઈબંધની લીધી બલિ
સુરેશકુમાર ઉર્ફે દીપુ મિશ્રાની હત્યાનો ભેદ ઉકેલાયો
સુરતના કામરેજના પરબ ગામે ખેલાયો ખુની ખેલ મિત્રતાના નામે કલંક: કામરેજમાં રાત-દિવસ સાથે રહેતા મિત્રએ જ પથ્થર ઝીંકી ભાઈબંધની લીધી બલિ
લોહીનો સંબંધ ન હોય પણ લાગણીની યારી હોય, અને ભાઈ પછી જેની પર સૌથી વધુ ભરોસો કરાય એનું નામ ભાઈબંધ. પરંતુ સુરત જિલ્લાના કામરેજમાં મિત્રતાના પવિત્ર સંબંધને લજવતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. પરબ ગામની સીમમાં થયેલી સુરેશકુમાર ઉર્ફે દીપુ મિશ્રાની હત્યાનો ભેદ ઉકેલતા પોલીસે જે ખુલાસો કર્યો છે તે સાંભળીને સૌ કોઈ સ્તબ્ધ છે. સુરેશની હત્યા બીજા કોઈએ નહીં, પણ તેની સાથે જ ઉઠવા-બેસવા અને જમવા જનારા તેના જિગરી મિત્રએ કરી હોવાનું બહાર આવ્યું છે.પોલીસ તપાસમાં જે વિગતો ખુલી છે તે મુજબ, મૃતક સુરેશકુમાર અને આરોપી અશોક શિવબરન કેવટ પાડોશી એકમોમાં કામ કરતા હોવાથી ગાઢ મિત્રો હતા. ગત તા. 08/03/2026ની રાત્રે બંને મિત્રો સાથે હોટલમાં જમવા ગયા હતા. જમીને પરત ફરતી વખતે સામાન્ય બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં વાત એટલી વણસી ગઈ કે આવેશમાં આવી ગયેલા અશોક શિવબરન કેવટે મિત્રતા ભૂલીને બાજુમાં પડેલો ભારે પથ્થર સુરેશના માથામાં ઝીંકી દીધો હતો. ગંભીર ઈજાના કારણે સુરેશનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પરબ ગામની સીમમાં ઓમ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે ખુલ્લા ખેતરમાંથી લોહીલુહાણ હાલતમાં સુરેશની લાશ મળતા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
સુરત જિલ્લા SP રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે બાતમી મેળવી હતી કે હત્યારો અશોક શિવબરન કેવટ ડાયમંડનગર તરફ ભાગવાની પેરવીમાં છે.પોલીસે વોચ ગોઠવીને આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જે મિત્રની સાથે સુરેશે કદાચ ભવિષ્યના સપના જોયા હશે, એ જ મિત્ર સામાન્ય વાતમાં કાળ બની જશે તેવી કલ્પના પણ કોઈએ કરી નહોતી. હત્યા કર્યા બાદ આરોપી અશોક આખી રાત અવાવરું જગ્યાએ સંતાઈ રહ્યો હતો, પરંતુ કાયદાના લાંબા હાથથી તે બચી શક્યો નહીં. હાલ કામરેજ પોલીસે આરોપીનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…..
