થાનગઢ તાલુકામાં ગેરકાયદેસર કોલસા ખનનની પ્રવૃત્તિ પર બ્રેક
સતત અને સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.
ચોટીલા નાયબ કલેક્ટર અને મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ
થાનગઢ તાલુકા સહિત ચોટીલા સબ-ડિવિઝન વિસ્તારમાં અગાઉ કરવામાં આવેલી કડક કાર્યવાહી બાદ ગેરકાયદેસર કોલસા ખનનની પ્રવૃત્તિ ફરીથી શરૂ ન થાય તે માટે સતત અને સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યારે ચોટીલા નાયબ કલેક્ટર અને મામલતદાર દ્વારા આકસ્મિક તપાસ કરાય
આ કામગીરીના ભાગરૂપે આજેરોજ નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા અને મામલતદાર, થાનગઢ દ્વારા થાનગઢ તાલુકાના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આકસ્મિક તપાસ દરમિયાન જામવાડી, ભડુલો, રાવરાણી, વેલાળા, નળખંભા, ખાખરાવાળી સહિતના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ અગાઉ ગેરકાયદેસર કોલસા ખનન માટે ઉપયોગમાં લેવાતા અને તંત્ર દ્વારા બંધ/બુરાણ કરવામાં આવેલા કુવાઓની સ્થળ પર જઈ ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાસ કરીને અગાઉ બંધ કરવામાં આવેલા કુવાઓમાં કોઈ વ્યક્તિ દ્વારા ફરીથી ગેરકાયદેસર ખનન શરૂ કરવામાં આવ્યું નથી ને, તેમજ ગેરકાયદેસર કોલસાના કુવાઓમાંથી પાણી ઉલેચવાની પ્રવૃત્તિ પુનઃ શરૂ કરવામાં આવી નથી ને તે અંગે સ્થળ પર જઈને બારીકાઈથી ખાતરી કરવામાં આવી હતી.આ ઉપરાંત, ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ફરીથી શરૂ ન થાય તે માટે તંત્ર દ્વારા ગોઠવવામાં આવેલી રાઉન્ડ-ધ-ક્લોક પેટ્રોલિંગ અને મોનિટરિંગ ટીમો દ્વારા યોગ્ય રીતે અને સતત ફરજ બજાવવામાં આવી રહી છે કે કેમ તેની પણ સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આકસ્મિક તપાસ દરમિયાન થાનગઢ તથા મૂળી વિસ્તારના અગાઉ બુરાણ/બંધ કરવામાં આવેલા ગેરકાયદેસર કોલસાના કુવાઓમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પુનઃ શરૂ થયેલી જોવા મળી નથી. તંત્ર દ્વારા સતત પેટ્રોલિંગ, સ્થળ તપાસ તથા ટેકનોલોજીના ઉપયોગથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી અગાઉ બંધ કરાયેલી ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિ ફરીથી માથું ન ઊંચકે..

