સુરત ઉધનામાં જીવતા ભુણને સળગાવવાનો મામલો
પોલીસે સહારાથી ૧૯ વર્ષીય મહીલાની કરી ધરપકડ
સુરતના ઉધના વિસ્તારમાં નવજાત ભ્રૂણને સળગાવી ફેંકી દેવાના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગણતરીના કલાકોમાં પોલીસે મહારાષ્ટ્રના શાહદાની 19 વર્ષીય યુવતીની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધ, ગર્ભપાત અને પુરાવા નષ્ટ કરવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગર ગરનાળા પાસે 6 થી 7 દિવસના નવજાત ભ્રૂણને સળગાવેલી હાલતમાં ફેંકી દેવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતા ઉધના પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારી અને ગણતરીના કલાકોમાં જ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના શાહદાની 19 વર્ષીય યુવતી સુધી પહોંચી ગઈ હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન યુવતીએ ભ્રૂણ પોતાનું હોવાની કબૂલાત કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે યુવતીનો ઈશ્વર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો. પ્રેમીએ ગર્ભપાત માટે દવા આપ્યાનો પણ યુવતીએ ખુલાસો કર્યો હતો. ગર્ભપાત કરાવવા માટે યુવતી મહારાષ્ટ્રથી સુરત પોતાના સંબંધીના ઘરે આવી હતી, જ્યાં ગેરકાયદેસર રીતે દવાના આધારે ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો. પોલીસને શંકા છે કે ભ્રૂણને સળગાવીને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલ પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે ફરાર પ્રેમી ઈશ્વરને ઝડપી પાડવા માટે કવાયત તેજ કરી છે.

