સુરતના મોરા ગામે 22 વર્ષીય યુવકનું કરંટ લાગતાં મોત
પાણીની ટાંકીમાં કરંટ હોવાનો પરિવારનો આક્ષેપ
સુરતના મોરા ગામ વિસ્તારમાં એએમએનએસ કંપનીના ક્વાર્ટર્સમાં રહેતા 22 વર્ષીય યુવકનું કરંટ લાગતા મોત નિપજતા પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પાણીની ટાંકીમાં કરંટ હોવાથી યુવકને વીજ કરંટ લાગ્યો હતો. ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
સુરતના મોરા ગામ વિસ્તારમાં એએમએનએસ કંપનીના ક્વાર્ટસમાં 22 વર્ષીય રોશનનું કરંટ લાગતા મોત થયું હતું. તો આ અંગે મળતી માહિતી મુજબ રોશન એએમએનએસ કંપનીના ક્વાર્ટર્સમાં પરિવાર સાથે રહેતો હતો. પાણીની ટાંકીમાંથી પાણી ભરવા જતા અચાનક તેને વીજ કરંટ લાગ્યો હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે પાણીની ટાંકીમાં કરંટ હતો અને આ અંગે અગાઉ પણ અનેક વખત ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, આ મામલે ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. મૃતક રોશનના પરિવારમાં પત્ની, ભાઈ અને એક નાની બાળકી છે. પરિવાર દ્વારા મૃતદેહને તેમના ગામ સુધી પહોંચાડી વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી.

