કામરેજના દેલાડ ગામમાં 100 વર્ષ જૂની પરંપરા
ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં આજે પણ નીકળે છે નંદલાલની પાલખી
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના દેલાડ ગામમાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિની અનોખી પરંપરા આજે પણ જળવાઈ રહી છે. દેલાડ ગામમાં છેલ્લા 100 વર્ષથી નંદલાલની પાલખી કાઢવામાં આવે છે.
જન્માષ્ટમીના પાવન પર્વે ભગવાન શ્રીકૃષ્ણના જન્મ બાદ નવમીના દિવસે ભક્તો દ્વારા આ પાલખી સમગ્ર ગામમાં ફેરવવામાં આવે છે. દ્વાપર યુગમાં મથુરાની કારાગૃહમાં માતા દેવકી અને પિતા વાસુદેવના ઘરે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. કંસના અત્યાચારથી મુક્તિ અપાવવા અને ધર્મની સ્થાપના માટે ભગવાને પૃથ્વી પર અવતાર લીધો હતો. કૃષ્ણ જન્મ બાદ વાસુદેવજી નંદબાબાના ઘરે બાળ કૃષ્ણને પહોંચાડ્યા હતા અને ત્યારથી નંદલાલ પ્રત્યેની ભક્તિની પરંપરા સાથે જોડાયેલી અનેક ધાર્મિક માન્યતાઓ આજે પણ જોવા મળે છે.આ જ ભક્તિભાવ સાથે કામરેજના દેલાડ ગામમાં છેલ્લા એક સદીથી નંદલાલની પાલખી કાઢવાની પરંપરા ચાલી આવે છે. પાલખીને ખાસ રીતે પરંપરાગત શણગાર કરવામાં આવે છે. ત્યારબાદ ભક્તિભાવપૂર્વક નંદલાલને પાલખીમાં બિરાજમાન કરી સમગ્ર ગામમાં ફેરવવામાં આવે છે. પાલખી યાત્રા દરમિયાન ભજન-કીર્તન, ઢોલ-નગારાના નાદ અને જય શ્રીકૃષ્ણના જયઘોષથી સમગ્ર દેલાડ ગામ ભક્તિમય બની જાય છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી ગ્રામજનો મોટી સંખ્યામાં યાત્રામાં જોડાય છે અને હર્ષોલ્લાસ સાથે કાન્હાની ભક્તિમાં લીન બને છે

