સુરત બીઆરટીએસ બસની ગંભીર બેદરકારીનો આક્ષેપ
ભાઠેના સિદ્ધિવિનાયક મંદિર નજીક યુવક અકસ્માતનો ભોગ બન્યો
બસમાં ચઢવા જતા યુવકના પગ પર ટાયર ફરી વળ્યું
ગંભીર ઈજાગ્રસ્ત યુવકનું ચાર દિવસની સારવાર બાદ મોત
સુરત શહેરમાં બીઆરટીએસ બસની બેદરકારીનો વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં ભાઠેના સિદ્ધિવિનાયક મંદિર નજીક બસમાં ચઢવા જતા યુવક અકસ્માતનો ભોગ બન્યો હતો. બસનું ટાયર યુવકના પગ પર ફરી વળતા ગંભીર ઈજા પહોંચી હતી અને ચાર દિવસની સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે.
સુરતના ભાઠેના વિસ્તારમાંથી દર્દનાક અકસ્માતની ઘટના બની હતી. જેમાં સિદ્ધિવિનાયક મંદિર નજીક બીઆરટીએસ બસમાં ચઢવા જતા એક યુવક સાથે અકસ્માત સર્જાયો હતો. બસમાં મુસાફરોનો ભારે ઘસારો હતો અને યુવક બસમાં ચઢી રહ્યો હતો ત્યારે અચાનક બસ આગળ વધી ગઈ હતી. જેના કારણે યુવક દરવાજા પાસેથી નીચે પટકાયો અને બસનું ટાયર તેના પગ પર ફરી વળ્યું હતું. અકસ્મતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તો આ ઘટના 17 તારીખે બની હતી. અકસ્માત બાદ યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાર દિવસની સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે. યુવકના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. તો બીજી તરફ બીઆરટીએસ બસની કામગીરી અને મુસાફરોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે.
