તળાજા પંથકમાં કરુણાંતિકા
ચેકડેમમાં ડૂબતા બે યુવાનોએ ગુમાવ્યો જીવ
ભાવનગર તળાજા તાલુકાના મથાવડા ગામેથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. મથાવડા ગામે આવેલા ચેકડેમમાં ચાર યુવાનો ડૂબ્યા હોવાની ઘટનાથી સમગ્ર તળાજા પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ ચારે યુવાનોને ચેકડેમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ બે યુવાનોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે અન્ય બે યુવાનોની હાલત ગંભીર હોવાથી તેમને તાત્કાલિક સારવાર માટે તળાજાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ બંને યુવાનોને વધુ સારવાર માટે તળાજાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. મૃતક યુવાનોમાં 19 વર્ષીય મિલનભાઈ ગોવિંદભાઈ શીયાળ અને 18 વર્ષીય તુષારભાઈ ગંભીરભાઈ શીયાળનો સમાવેશ થાય છે. આ કરુણ ઘટનાને પગલે તળાજાની સરકારી હોસ્પિટલ પરિસરમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, એ.બી.ભાઈ, રમેશભાઈ ભાલીયા, હરેશભાઈ મેર, તુલસીભાઈ મકવાણા, હિંમતભાઈ ડાભી સહિત તળાજાના કોળી સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.આ ઉપરાંત તળાજા મામલતદાર કચેરીના કર્મચારીઓ પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. બે યુવાનોએ અકાળે જીવ ગુમાવતા મથાવડા ગામ સહિત સમગ્ર તળાજા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

